સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ તુટી ગયા છે જેને કારણે અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યાં છે. રસ્તાઓ તુટી જતાં ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊંઝા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં લોકો મને છેતરી ગયા.


ઊંઝામાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બનાસકાંઠામાં લોકો મને છેતરી ગયા. કારણ કે, લોકો રોડ મંજૂર કરાવે ગામથી ગામ સુધીના પણ એમણે તો રોડ મંજૂર કરાવ્યા ગામથી ખેતર સુધીના જ.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી ચકાસણી કરવાની પદ્ધતિ છે અને સાચું અને સારું કામ કરવાની જવાબદારી છે. આ પ્રજાના પૈસા છે, ટેક્સ ભર્યો છે પ્રજાએ અને ટેક્સ સરકારની તિજોરીમાં આવે છે અને અમે તમારા વતી વહીવટ કરીએ છીએ.