રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની તૈયારીઓની સમીક્ષા કરવા મંગળવારે રાજ્યવ્યાપી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં NEET પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Continues below advertisement

ડીજીપી મલિકે પરીક્ષા સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્ષ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

Continues below advertisement

પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી (ફ્રિસ્કિંગ) કરવા ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા.

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને 20 જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન સઘન રાત્રિ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે. સાથે જ અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય કરવામાં આવ્યું છે.

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવતો હોવાથી ડીજીપીએ તમામ પોલીસ એકમોને યોગ દિવસના કાર્યક્રમો અને NEET પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવા સૂચના આપી હતી, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. આ તમામ પગલાંઓનો મુખ્ય હેતુ NEET પરીક્ષાનું નિષ્પક્ષ, સુરક્ષિત આયોજન સુનિશ્ચિત કરવાનો છે, સાથે જ સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને કાયદાના અમલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.