બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ઉમેદવારોની ભાજપે જાહેરાત કરી તેમાં નો રીપીટ ફોર્મ્યુલા અપનાવી હતી. ભાજપે તમામ સીટ પર નવા ચહેરાને ટિકિટ અપાતાં ભાજપના જૂના કાર્યકરો ભારે નારાજગી ફેલાઈ હતી. બારડોલી તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રમણભાઈ હળપતિ પણ નારાજ હતા ને તેમણે પાર્ટી સામે રોષ વ્યક્ત કરી ટિકિટોન જાહેરાતના કલાકોમા જ ભાજપ છોડીને કોંગ્રેસનો પાલવ પકડ્યો હતો.
હળપતિએ રાત્રે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી ભાજપને અલવિદા કરી દીધી હતી. જો કે માત્ર 12 કલાકમાં જ ગુલાટં લગાવીને વહેલી સવારે હળપતિએ ફરી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ભાજપનો ખેશ પહેરી ઘર વાપસી કરી હતી. હળપતિએ 12 કલાકમાં જ ભાજપ, કોંગ્રેસ ને પાછા ભાજપ એમ ત્રણ પક્ષ બદલી નાખ્યા છે.
હળપતિઓ દાવો કર્યો છે કે, મારી ટિકિટ ફાઇનલ ન થતાં આક્રોશમાં આવી હું ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ મારી ભૂલ થઈ હોવાનો અહેસાસ થતાં બીજે જ દિવસે સવારે ભાજપમાં ઘર વાપસી કરી છે.