ગાંધીનગર: સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ રાજ્યની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિએ નવરાત્રિ વેકેશન રદ કરવાની ભલામણ કરી હતી. જોકે, શિક્ષણ મંત્રીની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


જે મુજબ 30-09-2019 થી 07-10-2019 સુધી શાળાઓમાં 8 દિવસનું નવરાત્રિ વેકેશન રહેશે. જ્યારે દિવાળી વેકેશન 25-10-2019 થી 06-11-2019 સુધી 13 દિવસનું રહેશે.

ગત વર્ષે સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું. જેનો ઘણા વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સરકારનાં નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રિ દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે ચલાવ્યું હતું.

સરકારના નવરાત્રિ વેકેશનના નિર્ણય અંગે રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના મહામંત્રી અવધેશ કાનગઢે કહ્યું, જન્માષ્ટમી બાદ નવરાત્રિ વેકેશન અને ત્યારબાદ દિવાળી વેકેશન આપતું હોવાથી બાળકોનું માઇન્ડ ભણવામાં સેટ થતું નથી. દિવાળી વેકેશન ટૂંકાતા વાલીને પણ તકલીફ પડે છે. આ મામલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને સરકારને આ મુદ્દે ફેરવિચારણ કરવા અપીલ કરવામાં આવશે.