ગાંધીનગરઃ આગામી પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં ધોરણ 9 અને 11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી દેવામાં આવી છે.


આ ઉપરાંત આજે સરકારે પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12 ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આ ઉપરાંત હોસ્ટેલની સ્થિતિની ચકાસણી માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ રિપોર્ટ આપશે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણનું કાર્ય ચાલુ કરવામાં આવશે, તેમ ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું. ઉચ્ચ શિક્ષણની ફી માફી માટે કોર્ટ મેટર છે, જે બાદ નિર્ણય લેવાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.