ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્ય ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટેના નિયમોમાં ફેરફાર કરીને વાહનચાલકોને સરળતા કરી આપી છે. નવા નિયમ પ્રમાણે, હવે કોઈ પણ ડ્રાઈવર ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.


વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે આ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. કોઈ પણ અધિકારી કે ટેસ્ટ સાથે સંકળાયેલા પ્રાઇવેટ એજન્સીના માણસો રિવર્સ કેમેરા, સેન્સર્સ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારથી ટેસ્ટ ડ્રાઇવ લેવાનો ઇનકાર કરી શકશે નહીં, તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું.

અત્યાર સુધી RTO રૂલ્સનું મનસ્વી અર્થઘટન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઓટોમેટિકને બદલે મેન્યુઅલ અર્થાત ગિયરવાળી કારને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. સુરત- અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઓટોમેટિક કારથી અપાયેલા ટેસ્ટને રિજેક્ટ કરવામાં આવતા હતા.

આ અંગે અગ્રસચિવ સુનયના તોમરે કહ્યું કે, RTOમાં સેન્સર આધારિત ટ્રેકિંગ સિસ્ટમમાં આટોમેટિક કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ માન્ય છે. તેમણે કહ્યું કે, ટ્રાફિક રૂલ્સ સંદર્ભે સર્જાયેલી અરાજકતા વચ્ચે વાહન વ્યવહાર વિભાગની અગાઉ હાઇલેવલ બેઠક મળી હતી. આ બેઠકમાં લાયસંસ, પીયુસી સહિત કામકાજ માટે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની તમામ ક્ષેત્રિય કચેરીઓ દરરોજ સવારે બે કલાક વહેલા કાર્યાન્વિત કરવા તેમજ રવિવારે પણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.

ઓટોમેટિક કાર અને કારમાં રિવર્સ, પાર્કિંગ કેમરા ચાલુ રાખીને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે. તેમણે કહ્યં કે, આ ટેક્નોલોજી સેફ્ટી માટે છે. પરંતુ, સેન્સર બેઝડ ટ્રેકિંગ સિસ્ટમનું સંચાલન કરી રહેલી પ્રાઇવેટ એજન્સીઓ ઓટોમેટિક કાર કે રિવર્સ કેમેરાથી ટેસ્ટ માન્ય રાખે તો લાયસન્સ માટે અરજી કરનાર નાગરિકને પહેલી જ ટેસ્ટમાં સફળતા મળી શકે. વારંવાર ટેસ્ટ આપવા ન આવે તો પ્રોસેસ ફીના નામે થતી તેની આવક ઘટે તેમ હોવાથી ઓટોમેટિક અને કેમરા આધારિત મોટરકારનો સ્વીકાર કરવામાં આવતો નહોતો. હવે કોઈ પણ અધિકારી કે એજન્સી તેનો ઇનકાર કરી શકશે નહીં. આવી ફરિયાદો માટે સરકાર એક કોલસેન્ટર જેવં મિકેનિઝમ પણ શરૂ કરવાનું વિચારી રહી છે.