નવી દિલ્હીઃ રાજ્ય સરકારે કર્મચારીના હિતમાં  નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે સરકારી અધિકારીઓ,કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો  નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19 હજારથી વધુ અધિકારી,કર્મચારી-પેન્શનરોને કુલ 12 % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. આ નિર્ણય બાદ સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડનું વધારાનું ભારણ પડશે.રાજ્ય સરકારનાં અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ 19,359 કર્મચારીઓને લાભ થશે. અધિકારીઓ અને કર્મચારીને આ મોંઘવારી ભથ્થું ઓગસ્ટ- 2019ના પગાર સાથે ચુકવવામાં આવશે.


વધુમાં નીતિન પટેલે કહ્યુ હતું કે, મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી કર્મચારીઓના હિતમાં  અનેક નિર્ણયો લીધા છે.  રાજ્ય સરકારના 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનરો મળી, અંદાજીત કુલ 19,359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કર્યા છે.  છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે 142 % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ 1.7.2018થી વધુ 6 % તથા 1.1.2019થી વધુ 6% મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે, જે સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે કુલ 12% મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કર્યો છે