Vikram Thakor News: થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઇને વિવાદ થયો હતો. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને વિક્રમ ઠાકરો અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નીહાળવા આમંત્રિત કર્યા છે. અગાઉ આ મુદ્દે વિવાદ વકરતાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અને અન્ય પક્ષના નેતાઓ, સામાજીક સંગઠનોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.
માહિતી પ્રમાણે, વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇને સરકાર સામે મોરચો માંડ્યો હતો, નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટુ સંમેલન પણ યોજ્યુ હતુ. જોકે, હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ બન્ને દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે.
26મી માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોને આમંત્રિત કરાયા છે, 26મી માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મમતા સોની, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નીહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે. ખાસ વાત છે કે, 200 જેટલા અન્ય કલાકારોને 27 માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે. રાજ્યમાંથી 300 જેટલા કલાકારો, એકટર-એક્ટ્રેસીસ, સંગીત વાદકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ અપાયુ છે. અગાઉ લોક સાહિત્યકારને આમંત્રણ આપીને વિધાનસભા ગૃહની કામગીરી જોવા માટે આમંત્રિત કરવામા આવ્યા હતા. જોકે કલાકારોના આમંત્રણ અને સન્માનના વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ સાંસ્કૃતિક સેલના ઈન્ચાર્જ જનક ઠક્કરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા વિધાનસભામાં લોકસાહિત્યકારને સ્વાગત સન્માન બાદ વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપો સરકાર સામે લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિક્રમ ઠાકર અને નવગણજી ઠાકોર નારાજ -
વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી. નવઘણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા, જે યોગ્ય નથી.
વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે. વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.