ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ અને લાયન્સ રિન્યુ કરવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી. 


જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.

વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવથી મગફળી વેંચવા પર 2.53 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેવા સેતુના કાર્યક્રમની સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. સેવા સેતુ કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ 4 કરોડ કરૂપિયાની ખાદી ખરીદી છે. એક જ દિવસમાં 1.17 લાખ મીટર ખાદીનું વેચાણ થયું.

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.


લીલી પરિક્રમા મુદ્દે યોજાયેલી બેઠકથી દૂર રખાતા મીડિયાકર્મીઓ ઉતર્યા હડતાળ પર
જૂનાગઢઃ દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમાને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જોકે, બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખતા મીડિયાકર્મીઓ ધરણા પર ઉતર્યા છે. જૂનાગઢના તમામ મીડિયાકર્મીઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે. બીજી તરફ લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આમ, આ વર્ષે પ્રતિકાત્મક રીતે પરીક્રમા યોજાશે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી. 


આ મુદ્દે આજે બંધ બારણે ભાજપના પદાધિકારીઓ અને સાધુસંતો સાથે બેઠક થઈ હતી. પરંતુ આ બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખવામાં આવતાં ધરણા પર ઉતર્યા હતા. મહત્વનું છે કે, પ્રથમવાર આ રીતે મીડિયાને લીલી પરિક્રિમાની બેઠકથી દૂર રખાયું હતું કે જે એક રીતે તો મીડિયાકર્મીઓનું અપમાન જ કહેવાય. પત્રકારો ધરણા પર ઉતરતાં મેયર ધીરુભાઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.