ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી છે. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હોવાની ચર્ચા છે અને તેના કારણે ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની પણ ચર્ચા છે.


આ ચર્ચા વચ્ચે કોંગ્રેસના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપના નારાજ નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. કગથરાએ એ પણ દાવો કર્યો કે, વખત આવશે ભાજપના આ નારાજ નેતાઓ ફરી સતા પરિવર્તિત કરશે અને ભાજપ સરકારને ઉથલાવી દેશે. કગથરાએ દાવો કર્યો કે, ગુજરાતમાં ભાજપમાં અસંતોષ અને નારાજગીના કારણે બહુ જલદી સત્તાપરિવર્તન થશે. 


આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. ત્યારે ધારાસભ્યોને ફોન કરીને મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રીમંડળમાં 6 કેબિનેટ મંત્રીઓને સ્થાન મળી શકે છે. જ્યારે અન્ય ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે. જેની યાદી નીચે પ્રમાણે છે. 


કેબિનેટ મંત્રી
જીતુ વાઘાણી, ભાવનગર
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
નરેશ પટેલ, ગણદેવી, નવસારી
કિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગર
જગદીશ પંચાલ, નિકોલ, અમદાવાદ


રાજ્યકક્ષાના મંત્રી


હર્ષ સંઘવી, મજૂરા, સુરત
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
બ્રિજેશ મેરજા, મોરબી
ઋષિકેશ પટેલ, વિસનગર, મહેસાણા
મુકેશ પટેલ, ઓલપાડ, સુરત
કુબેર ડીંડોર, સંતરામપુર
રાઘવજી મકવાણા, મહુવા
પ્રદીપ પરમાર, અસારવા
નિમિષા સુથાર, મોરવા હડફ
મનિષા વકીલ, વડોદરા
જીતુ ચૌધરી, કપરાડા
જે.વી. કાકડિયા, ધારી
અરવિંદ રૈયાણી, રાજકોટ
દેવાભાઈ માલમ, કેશોદ
વિનુ મોરડીયા, કતારગામ, સુરત
કીર્તિસિંહ વાઘેલા,કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ


ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે અને અત્યાર સુધી બે મહિલા ધારાસભ્યોને ફોન આવ્યા છે.


 


આ મહિલાઓમાં મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલનો સમાવેશ થાય છે. મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાય એવી શક્યતા છે. ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે એવી ચર્ચા છે કે, ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ બનાવાશે.