Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે તો બીજી તરફ અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી છે. આ ઉપરાંત વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.


 



દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ


દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નવસારીના ગણદેવી તાલુકામાંથી વહેતી અંબિકા નદીના જળસ્તર ધીમે ધીમે વધી રહ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગણદેવીથી અમલસાડને જોડતો ધમડાછા લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે અને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનોએ તરવૈયાઓની ટીમો તૈયાર રાખી છે, જેને લઈને સ્થળાંતરની સ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ ઇમર્જન્સી જેવી સ્થિતિ ઊભી થાય તો એને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી છે.


 






સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ


રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલી યોજનાઓમાં તા. ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.


 





પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦ થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.