ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં નોમની રાત્રી પછી નીકળતી રૂપાલની પલ્લીને લઈને મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરના રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાયું છે.


અગાઉ તંત્ર દ્વારા કોરોનાને કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી શક્યતા જોવાઈ રહી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપાલની પલ્લીને લઈને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. નીતિન પટેલના આ નિવેદન બાદ રૂપાલની પલ્લી નિકળવાની આશ પર પાણી ફરી વળ્યું છે.



નોંધનીય છે કે, દર વર્ષે પલ્લીમાં મોટી સંખ્યામાં લોકો જાડાય છે અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય તે માટે પૂર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગ્રામજનોની હાજરીમાં જ ગામમાં નિકળે તેવી ભક્તોની લાગણી હતી. જોકે, કોરોનાને કારણે પલ્લી નહીં યોજવાનો સરકારે નિર્ણય લીધો છે.



મહત્વનું છે કે માતાજીને ઘી ચઢાવવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શકયતા જોવામાં આવી હતી. નિયત રૂટ સાથે સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળશે તેવી પુરી શકયતા જોવામાં આવી હતી.