ગાંધીનગર:  ગાંધીનગરના મહાત્મા મંદિર  ખાતે એક દિવસીય ‘ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર’ યોજાયો હતો. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના કુલ જલપ્લાવિત વિસ્તારના ૨૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. જેના પરિણામ સ્વરૂપે  ગુજરાતની ચાર સાઈટને રામસર-વેટલેન્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લાખો દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે ગુજરાતના મહેમાન બને છે તે આપણી આગવી ઓળખ છે.  આ યાયાવર પક્ષીઓનું જતન સંરક્ષણ કરવાની આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.  


GEER ફાઉન્ડેશન વર્ષોથી જળચર પક્ષીઓ-વેટલેન્ડના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે


મંત્રીએ કહ્યું હતું કે, GEER ફાઉન્ડેશન વર્ષોથી જળચર પક્ષીઓ-વેટલેન્ડના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે ત્યારે વેટલેન્ડ અંગેના આ એક દિવસીય વૈશ્વિક સેમિનાર અને નળ સરોવર ખાતે તા.૦૩ થી ૦૬ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ચાર દિવસીય વર્કશોપ આ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાન માટે મહત્વનું યોગદાન આપશે. વેટલેન્ડના વિકાસ અને જળચર પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે વધુ શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે કરી શકીએ તેનો સંકલ્પ કરવા મંત્રી બેરાએ આ પ્રસંગે સૌને અનુરોધ કરીને સેમિનારના સફળ આયોજન બદલ GEER ફાઉન્ડેશન સહિત સૌને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.


મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળા પણ યોજાશે


ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજયમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનાર યોજાયો હતો. જેમાં વેટલેન્ડ નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારોને લગતા વિવિધ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તા.૩ થી ૬ જાન્યુઆરી દરમિયાન નળ સરોવર- રામસર સાઈટ ખાતે મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળા પણ યોજાશે.


વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની આગેવાનીમાં વેટલેન્ડ સંરક્ષણ અને જતન માટેનું અભિયાન ગુજરાતમાં તેજ ગતિએ શરૂ થયું હતું. કુદરતી અને માનવ સર્જિત વેટલેન્ડની જાળવણી અને તેનો વિકાસ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાતમાં આ માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. આ વિષય પરના સેમિનારના આયોજન ઉપરાંત આ વિષયની ઊંડી સમજ અને જનજાગૃતિ માટે રાજ્યની શાળાઓમાં બાળકો સુધી આ જનજાગૃતિ કેળવવા માટેના આયોજન કરવા ખૂબ જરૂરી છે. ત્યારે જ આ વિષય સંલગ્ન જાળવણી-સંરક્ષણ ઉપર મહત્તમ કાર્ય થઈ શકશે, એટલું જ નહીં, વેટલેન્ડના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા પણ મંત્રી મુકેશ પટેલે આહવાન કર્યું હતું.