ગાંધીનગરઃ આજે ચૂંટણીપંચ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ગુજરાતમાં પેટાચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી 29મી સપ્ટેમ્બરે ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી માટે બેઠકનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ બેઠકમાં પેટાચૂંટણીને લઈને કોઈ નિર્ણય થઈ શકે છે.


હજુ પેટાચૂંટણીની જાહેરાત નથી થઈ, પરંતુ કપરાડામાં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનાર જીતુ ચૌધરીએ ભાજપમાંથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ પેટાચૂંટણી થાય તેઓએ સંપૂર્ણ તૈયારી કરી રાખી છે. હાલ ભાજપમાં કાર્યકર્તાઓ સાથે સતત સમ્પર્કમાં હોવાનું અને
'દૂધ માં સાકર ભળે એમ હું પણ ભાજપ માં ભળી જઈશ, તેમ તેમણે જણાવ્યું હતું.

આજે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે. કોંગ્રેસ દિવાલ પર લખી લે, અમે તમામ બેઠકો જીતવાના છીએ. ચૂંટણીના ઢોલ વાગે એટલે બધા જૂથ એક એ ભાજપ, એમ ગોરધન ઝડફિયાએ ઉમેર્યું હતું. અમે બુથ સુધીની વ્યવસ્થા કરી છે.