ગાંધીનગરઃ એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહની વસ્તી છે. છેલ્લા થોડા વર્ષોથી સિંહોના અન્ય કારણોસર થઈ રહેલા મોતથી ઘણા લોકોએ સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની વાત કરી હતી.


ગુજરાતના સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની સરકારની વિચારણાનો સિંહ પ્રેમીઓએ વિરોધ કર્યો હતો. સિંહપ્રેમીઓ દ્વારા જિનેટિક ડાઈવર્સીટીના નામે સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાના સરકારના વિચારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રાજ્યના સિંહોનું ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં સ્થળાંતર કરી વ્યાપ વધારવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે, વનવિભાગ દ્વારા ગુજરાતમાં સિંહોના સંરક્ષણ માટે સારી કામગીરી થઈ રહી છે. સિંહોને સૌરાષ્ટ્ર અને ગિરનું જંગલ માફક આવતા સિંહોની સંખ્યમાં પણ વધારો થયો છે.

ગુજરાતમાં હાલ 674 સિંહોની સંખ્યા છે જે રાજ્યનું ગૌરવ છે. સંશોધન વિનાજ સિંહોને અન્ય રાજ્યોમાં ખસેડવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. જૂન મહિનામાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહોની વસ્તીમાં આશરે 29 ટકા જેટલો વધારો થયો હતો.