ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ લોકડાઉન કડક બનાવવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મનપામાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગાંધીનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગાંધીનગર જીલ્લાનાં 129 કેસોમાંથી 83 કેસો ગ્રામીણ વિસ્તારોનાં છે.


ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત કેસો વધતા જિલ્લાના બે ગામોમાં લોકડાઉન કડક બનાવવામાં આવ્યું છે. તેમજ દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. ગાંધીનગર તાલુકાનાં છાલા અને જાસપૂર ગામમા દૂધ અને મેડીકલ સુવિધાઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરોનાનાં કેસો સામે આવતાં નિર્ણય લેવાયો છે. આ પહેલા ગાંધીનગર જીલાનાં 10 ગામોને સંપૂર્ણ લોક ડાઉન કરવામાં આવ્યાં હતાં.