ગાંધીનગરઃ બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા જતાં રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થવાની છે. આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી અફવાએ જોર પકડયુ છે.


બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેમ્બરમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , મંત્રી કુવરજી બાવળિયા વચ્ચે બેઠક થઇ હતી. આ બધીય કવાયતને લીધે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ જોર પક્ડયું હતું.

આ ઘટનાક્રમ વચ્ચે સ્વર્ણિમ સંકુલ 2માં મંત્રીઓની નવી ઓફિસોમાં સાફસફાઇ થતાં જ મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળ્યો હતો. જો કે સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે, રાજ્યપાલ આચાર્ય દેબબ્રતને ગુજરાતમાં એક વર્ષ પૂરું થતાં રૂપાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેબિનમાં થયેલી બેઠક અંગે પણ સ્પષ્ટતા કરાઈ છે કે, ગ્રાન્ટની વહેચણીના મુદ્દે નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠક થઇ હતી. અલબત્ત આ સ્પષ્ટતા પછી પણ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તો ચાલી જ રહી છે.