કેવડિયા: સરદાર સરોવર અને નર્મદા ડેમની ટીકિટમાં પુનઃ ફેરફાર કરવામાં આવતાં પ્રવાસીઓને રાહત થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ નર્મદા ડેમની 5 રૂપિયાની ટીકિટની પ્રથા બંધ કરી દેવામાં આવી હતી અને 120 રૂપિયાની ટીકિટ ફરજિયાત કરવામાં આવી હતી જે હવે બંધ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને જિલ્લા કલેક્ટરે હાલ માત્ર 50 રૂપિયાની ટીકિટ કરી દીધી છે જેથી પ્રવાસીઓને રાહત થશે.

2006માં નર્મદા ડેમને પ્રવાસન સ્થળ જાહેર કરતાં પ્રવાસીઓને નર્મદા ડેમ જોવા માટે વ્યક્તિ દીઠ 5 રૂપિયા ટીકિટ રાખવામાં આવી હતી જેમાં બાઈકને 50, કારને 100 અને બસ ને 200 રૂપિયા ચૂકવવાના હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 31 ઓક્ટોબર 2018થી નર્મદા ડેમની ટીકિટ બંધ કરીને સ્ટેચ્યુની ટીકિટ રાખવામાં આવી હતી જેમાં 120 નોર્મલ ટીકિટ અને 380 રૂપિયા સંપૂર્ણ ટીકિટ રાખવામાં આવી હતી. સ્ટેચ્યુ અંદરથી નજારો જોવો હોય તો દરેક પ્રવાસીઓએ 120 તો ફરજિયાત ખર્ચવા પડતા હતા.

જોકે અત્યાર સુધી 19 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે આગામી સીઝન માટે હવે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ માટે માત્ર 50 રૂપિયા ચૂકવવા ના રહેશે.

જેમાં 30 રૂપિયા બસ ટીકિટ એટલે પ્રતિ વ્યક્તિને માત્ર 20 રૂપિયામાં સ્ટેચ્યુ બહારથી, ફ્લાવર ઓફ વેલી અને નર્મદા ડેમ ગ્લાસ કેબીનથી ડેમ જોઈ કેનાલ માર્ગે બહાર નીકળાશે. આમ પ્રવાસીઓએ આ ટીકિટના ભાવથી રાહત મળી છે.