નર્મદા ડેમની જળસપાટીમાં આજે થઈ શકે છે ધરખમ વધારો? જાણો કેમ
abpasmita.in | 09 Sep 2019 08:34 AM (IST)
મધ્ય પ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે ઈન્ડિર સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને લઈને આજે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થઈ શકે છે
નર્મદા: ઉપરવાસમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલાય દિવસથી ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી નર્મદા ડેમના 10થી 15 દરવાજા ખોલવામાં આવેલા છે. નર્મદા ડેમના દરવાજા ખોલાતા ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદા નદીની સપાટીમાં વધારો થયેલો છે. જેને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને આપી છે. નર્મદા ડેમની હાલની જળસ્તરની સપાટી 136.02 મીટર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં 6,61,579 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમમાંથી 6,00,000 ક્યૂસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. જેને લઈને કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે ઈન્ડિર સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને લઈને આજે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થઈ શકે છે. જેને લઈને જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.