ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે નવરાત્રિની ઉજવણી મુદ્દે વધુ એક વાર ગુલાંટ લગાવી છે. પહેલાં ફ્લેટ કે સોસાયટીઓના રહિશો માટે આરતી અને પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાક બનાવવાની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.


રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. આ પહેલા સરકારે જાહેરાત કરેલી કે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી મેળવવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.