ગાંધીનગર: કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરના વાયરસના 5 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. કોરોનાના ડરથી અનેક મોટા મોટા શહેરોમાં સ્કૂલ, કોલેજ, થિયેટરો બંધ રાખવા સરકારે આદેશ આપ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં કોઈ સ્કૂલ કે કોલેજો બંધ રાખવાનું હાલ આયોજન નથી.


નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં એક પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળ્યા નથી. એવામાં કોઈ સ્કૂલ, કોલેજ કે બજાર બંધ કરવાની હાલ જરૂરિયાત નથી. આ મામલે મુખ્યમંત્રી સાથે બેસી કોરોના સંદર્ભે મિટિંગ કરી નિર્ણય કરાશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનો 21 અને 22 તારીખના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ પણ હાલ પૂરતા રદ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસને પગલે ભારત સરકારે ગાઈડલાઇન બહાર પાડી છે. તે મુજબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા આયોજન ન કરવા કહેવામાં આવ્યું છે.