PM Modi Gujarat Visit: પીએમ મોદી 27 અને 28 જુલાઈના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમો અને ગાંધીનગર ખાતે સેમી કન્ડક્ટર અંગેના સેમિનારમાં પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. બે દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજશે. લોકસભાની ચૂંટણી પેહલા પ્રધાનમંત્રીની બેઠક ઘણી સૂચક માનવામાં આવી રહી છે. 27 જુલાઈ રાત્રે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતના નેતાઓને એકસાથે મળશે. તેમની ગુજરાતની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એવુ કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ધારાસભ્યોએ પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી આ માંગણીને ધ્યાનમં રાખીને પ્રધાનમંત્રી ધારાસભ્યો સાથે ભોજન લેશે.    


સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગુજરાતના  ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે. આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને 25 જુલાઈથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે.      


એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડીપ્લોમાં અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે, તથા આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે. આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી  અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી  સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી  રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.    


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial