ગાંધીનગરઃ બોલિવૂડ ફિલ્મ ‘પઠાણ’ના એક ગીતને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો CM અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી પઠાણ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માંગ કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં ફિલ્મની રિલિઝ અટકાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સોશિયલ મીડિયા સહિત દરેક પ્લેટફોર્મ પર ફિલ્મ અને તેના દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધની માંગ કરી છે. સાથે જ ફિલ્મમાં અશ્લીલતાનું વરવુ પ્રદર્શન થયાની પણ મહાસંઘે રજૂઆત કરી છે.


Pathaan Controversy: મુંબઈમાં પઠાણને લઈ ફરિયાદ,  ફિલ્મ પર હિંદુત્વને બદનામ કરવાનો આરોપ


Pathaan Movie Controversy: બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. દેશભરના હિન્દુવાદી સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. શાહરૂખ ખાને પણ ફિલ્મના વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જો કે પઠાણને લઈને વિરોધ સતત વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિલ્મ પઠાણને લઈને લેખિત ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય તિવારી નામના વ્યક્તિએ શનિવારે મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પઠાણને લઈને લેખિત ફરિયાદ નોંધાવી છે. ફિલ્મના નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. જોકે પોલીસે હજુ સુધી કોઈ FIR નોંધી નથી. ફરિયાદીનું કહેવું છે કે આ ફિલ્મ હિન્દુત્વને બદનામ કરવાના હેતુથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા સમાજમાં વિખવાદ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


ઉલેમા બોર્ડે પણ ફિલ્મ પર નારાજગી વ્યક્ત કરી હતી


બીજી તરફ મધ્યપ્રદેશમાં ઉલેમા બોર્ડે પણ ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડે ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરતા તેને રિલીઝ ન કરવાની માંગ કરી છે. આ સાથે યુપીમાં વિરોધ કરનારાઓએ જાહેરાત કરી છે કે જો આ ફિલ્મ યુપીમાં રિલીઝ થશે તો તેઓ સિનેમા હોલનો નકશો બદલી નાખશે. જણાવી દઈએ કે અયોધ્યાના મહંત રાજુ દાસે પણ આ ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જે થિયેટરમાં આ ફિલ્મ બતાવવામાં આવે તેને સળગાવી દેવા જોઈએ.


આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે


ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ શાહરૂખ ખાન પઠાણ દ્વારા મોટા પડદા પર લીડ એક્ટર તરીકે વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેના સિવાય જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.