ગાંધીનગરઃ ગુજરાત સરકાર રાજ્યના 9 IAS ઓફિસરોને ટૂંક સમયમાં પ્રમોશન આપશે. આ તમામ અધિકારીઓના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના IAS છે.


ગુજરાત સરકારના જે અધિકારીઓને પ્રમોશન મળશે તેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અને રાહત કમિશનર હર્ષદ પટેલ, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતી મુખ્ય છે. આ ઉપરાંત વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજિત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના અડિશનલ સેક્રેટરી કે.કે. નિરાલાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેસાણાના જિલ્લા કલેક્ટર એચકે પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલનો સમાવેશ થાય છે. આ બંને ઓફિસરો ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે.