ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓએ પડતર પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકાર સામે ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આગામી 9મી મે સુધીમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તાલુકા કક્ષાએ સુત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્ન જેવા કે મોંઘવારી ભથ્થુ, સાતમુ પગાર પંચના લાભો સહિતના મુદ્દા ઉપર લાંબા સમયથી ઉકેલ ન લાવવાનો ઉલ્લેખ કર્યો છે. આખરે આ સંદર્ભે જો હવે ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત વર્ગ 3ના કર્મચારીઓને પચાસ વર્ષે ખાતાકીય પરીક્ષામાંથી પ્રમોશન માટે મુક્તિ આપવાની પણ માગણી કરવામાં આવી છે.


 40 સેકન્ડમાં જ સભા બરખાસ્ત 


Nadiad: લોકોના કામની ચર્ચા અને વિકાસના કામો ને વેગ અને મંજૂરી આપવા માટે દરેક નગરપાલિકામા મહિનાના અંતે સામાન્ય સભા મળે એ જ રીતે નડિયાદ નગરપાલિકાની પણ સામાન્ય સભા મળી અને માત્ર 40 સેકન્ડમાં જ પ્રમુખ રંજનબેન વાઘેલા દ્વારા સભા બરખાસ્ત કરી દેવાઈ. નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ અને ટીપી ચેરમેન વિજય પટેલના અંદરો અંદરનો વિખવાદ ચરમસીમાએ પહોચ્યો છે. અગાઉ થોડા દિવસ પહેલાં જ  ઉપપ્રમુખ ટીપી ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પ્રમુખપતિ નગરપાલિકાના કામોમા હસ્તક્ષેપ કરે છે અને તે પોતાની મનમાની ચલાવે છે. 


બાદમાં આજે નગરપાલિકાલની સામાન્ય સભા મળી જેમા 40 સેકન્ડમાં 4 કામ મંજૂર કરી સભા બરખાસ્ત કરી દેવાઈ. આ વિવાદને લઈ પ્રમુખ રંજબેનનું કહેવું છે કે કામોની ચર્ચા પહેલા જ થઈ જતી હોય છે સભામા માત્ર મંજૂરી આપીને બોર્ડ પુરૂ કરવાનું  હોય છે, દર વખતે આજ રીતે બોર્ડ પુરૂ કરી દેવામાં આવે છે. બીજી તરફ ઉપપ્રમુખ અને ચેરમેન બંને બોર્ડ બરખાસ્ત થતા રોષે ભરાયા હતા. બોર્ડ પુરૂ થતાની સાથે જ ચીફ ઓફિસરની ઓફિસમાં  જઈને નારાજગી દર્શાવતો પત્ર આપી હોબાળો કર્યો હતો અને પછીથી પ્રમુખની ઓફિસમાં  જઈને પણ કામ સામે નારાજગીના પત્ર પર સહિ કરાવી. 


ઉપપ્રમુખ અને ચેરમેનનું  કહેવુ છે કે નગરપાલિકાને 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે તે ગ્રાન્ટ ક્યાં  અને ક્યાં કામમા વાપરવામાં આવી તેનો હિસાબ રજૂ નથી કરવામાં આવ્યો, અને સાથે જ અમારા પર ખોટી રીતે એટ્રોસીટીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. નડિયાદ નગરપાલિકાની માસિક સભા બરખાસ્ત થવી  તેને લઈ હોબાળો થયો પરંતુ વગર કોઈ કાઉન્સિલર સાથે ચર્ચા કર્યા વગર કામને મંજૂરી મળી તો અન્ય જે કામો કાઉન્સિલર પોતાના વિસ્તારના લઈને આવ્યા હતા તે બાબતે બોર્ડમાં  કોઈ પ્રકારની ચર્ચા ન થતા વિકાસના કામોને અવરોધ લાગ્યો છે.