ગાંધીનગર: છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેલૈયાઓ નિરાશ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત નવરાત્રીના આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ કરી દેવામાં આવ્યા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે. જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે દરિયામાં પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે પાટણ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

મહત્વપૂર્ણ છે કે, ખેલૈયાના ખેલમાં વરસાદ વિધ્ન બની રહ્યો છે. નવરાત્રીને લઈ છેલ્લા કેટલાંક મહિનાથી ખેલૈયા તૈયારી કરી રહ્યા હતા અને નવરાત્રી આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જોકે આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. પરંતુ નવરાત્રીની શરૂઆતની સાથે પાર્ટી પ્લોટના મેદાનમાં પાણી ભરાયેલ છે. જેના કારણે આયોજકોના આયોજન પર પાણી ફરી વળ્યું છે.