રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કયા 3 પાટીદાર ધારાસભ્યો નીતિન પટેલને મળવા પહોંચ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2020 02:04 PM (IST)
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ સ્વર્ણિમ સંકુલ વનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા જતા રાજકીય તર્કવિતર્ક શરૂ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી થવાની છે, ત્યારે આજે કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી જાહેર થતા જ ધારાસભ્યની અવર-જવર રાજકીય ચર્ચાનું કારણ બની છે. નોંધનીય છે કે, આવતી કાલે 4 જૂને રાજીવ ગાંધી ભવન એટલે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવાની છે. આ બેઠકમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહેવાના છે. ધારાસભ્યોને એકજૂઠ રાખવા અને રાજ્યસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિની ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે સામે પક્ષે ભાજપ દ્વારા ત્રણ ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. ભાજપ તરફથી અજય ભારદ્વાજ, નરહરી અમિન અને રમીલા બારાએ ઉમેદવારી નોંધાવી છે. આમ, ઉમેદવાર પાંચ છે અને બેઠકો ચાર હોવાથી હવે મતદાન થશે. આ પછી જ ખબર પડશે કે કોનો વિજય થશે.