અમદાવાદ-સુરત સહિત રાજ્યનાં છ મોટાં શહેરોને ક્યારે મળશે નવા મેયર ? ભાજપ ક્યારે કરશે નામોની જાહેરાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Mar 2021 11:31 AM (IST)
મેયર સહિત મહત્વના હોદ્દા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મળવાની છે. આ બેઠકમાં રાજ્યના મહાનગરોમાં કોણ નવા મેયર બનશે તે અંગે નિર્ણય લેવાશે.
ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપે તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર સહિતના હોદ્દા પર પસંદગી માટેની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયતના ભાગરૂપે મેયર સહિત મહત્વના હોદ્દા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મળવાની છે. આ બેઠકમાં રાજ્યના મહાનગરોમાં કોણ નવા મેયર બનશે તે અંગે નિર્ણય લેવાશે. ભાજપનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અમદાવાદને 10 માર્ચે નવા મેયર મળશે જ્યારે ભાવનગર તથા વડોદરાને પણ 10 માર્ચે નવા મેયર મળશે. રાજકોટને 11 માર્ચે નવા મેયર મળશે. સુરત અને જામનગરને 12 માર્ચે નવા મેયર મળશે. ભાજપ દ્વારા સોમવારે સાંજે તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેયર સહિતના મહત્નના હોદ્દા માટેનાં નામોની જાહેરાત કરી દેવાય તેવી શક્યતા છે.