Gandhinagar News: પ્રસિદ્ધ મંદિર મહુડીમાં ચોરીની ઘટનામા એબીપી અસ્મિતા પાસે એકસકલુઝિવ જાણકારી છે. ભુપેન્દ્ર શાહે માણસ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ભુપેન્દ્ર શાહ છેલ્લા 12 વર્ષથી મંદિરમા ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આરોપી નિલેશ મહેતા અને સુનિલ મહેતા બંન્ને અગાઉ પણ ખોટી રીતે મહુડી મંદિરમાં ખોટા બિલો રજૂ કરીને ઉચાપત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મંદિરમાં કુલ 8 ટ્રસ્ટીઓ વહિવટ કરી રહ્યા છે, જેમાં વોરા સમાજના 2, મહેતા પરિવારના 4 અને શાહ પરિવારના 2 ટ્રસ્ટીઓ છે. દર બેથીત્રણ મહિને મંદિરમા ભંડાર ખોલવામા આવે છે. નિલેશ મહેતા અગાઉ પણ વાસણામાં ગોદાવરી સંઘમા ચર્ચામા આવ્યા હતા. 01-04-2020થી નિલેશ મહેતા અને સુનિલ મહેતા ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે સોનાના વરખમાંથી 700 થી 800 ગ્રામ સોનાની ચોરી ઉપરાંત એક સોનાની ચેનની પણ ચોરી કરી હતી. સોનાનો વરખ ગાળવા માટે બહાર કાઢયો તે સમયે ઘટ આવતા ચોરી થયાની ઘટના આવી સામે હતી.


ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મંદિરના અન્ય ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોર્યાની ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત આરોપી ટ્રસ્ટીઓ પર મંદિરના ભંડારમાંથી રોકડ રકમની પણ ઉચાપત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માણસા પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ તરીકે જાણિતા મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ છે. આ આઠ ટ્રસ્ટીઓમાંથી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઈન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ભગવાનના સોનાનો વરખ વર્ષમાં એક વખત ઉતારવામાં આવે છે. ત્યાર બાદ તેને ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળવામાં આવે છે. આ વખતે આ વરખનું 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં શંકા સેવાઈ હતી.  આ બંને જણાએ મંદિરના ભંડારમાંથી પણ રોકડ રકમની ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું.


 આ દરમિયાન સ્ટાફના માણસોને પુછતાં તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા આવ્યા હતાં. તેમણે અમારી હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે અમને બધાને જમવા મોકલી દીધા હતા. અમે જ્યારે જમીને આવ્યા ત્યારે આ બંને ટ્રસ્ટીઓ પાસે બે થેલા હતાં તે ત્યાંથી ગાયબ થયેલ માલુમ પડ્યું હતું. મંદિરના અન્ય ટ્રસ્ટીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતાં આ પ્રકારની હિલચાલ હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું. જેથી ભૂપેન્દ્ર વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતને ફરિયાદ કરતાં પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.