અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. તેના સંદર્ભમાં ગુજરાત સરકારે અનલૉક 4ની મંગળવારે રાત્રે જાહેર કરેલી માર્ગદર્શિકામાં આગામી 30 સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ, કૉલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


શાળા-કૉલેજો ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની કામગીરી ચાલુ રાખી શકશે. આ માટે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરની જાહેરાત કરવામાં આવશે. તેનું ચુસ્ત પાલન કરવું દરેકને માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિતા પ્રમાણે શાળા અને કૉલેજમાં 50 ટકા શૈક્ષણિક સ્ટાફને બોલાવી શકાશે અને તેમને ઓનલાઈન શિક્ષણ આપવાની કામગીરી સોંપી શકાશે. તેમની પાસેથી ટેલિકાઉન્સિલિંગની કામગીરી પણ કરાવી શકાશે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકનું માર્ગદર્શન મેળવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લઈને શાળાએ જઈ શકશે. આ નિયમનો અમલ 21 સપ્ટેમ્બરથી થશે. ધોરણ 9થી ધોરણ 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જ આ નિયમ હેઠળ સ્કૂલે જઈ શકશે. આ અંગે સપ્ટેમ્બરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને ઇચ્છા હોય તે સ્વેચ્છાએ આ છૂટનો લાભ લઈ શકશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 21મી સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવનારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિસજરને અનુસરીને સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ પણ તેમના કામકાજ ચાલુ કરી શકશે.