અમદાવાદઃ હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે બે દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, એક બાજુ બધાં છે અને એક બાજુ હું એકલો છું આ નિવેદન પર વિધાસનભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજ ઠુમ્મરે કટાક્ષ કર્યો હતો. આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા સમયે વિરજી ઠુમ્મરે કહ્યું હતું કે, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે, તેઓ 15 ધારાસભ્ય લઈને આવે તો તેમને મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે.


આ સમગ્ર નિવેદન બાજી બાદ વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતાં ટકોર કરી હતી કે, વિરજીભાઈ ગત સમયે તમારા 12 ધારાસભ્યો જતાં રહ્યા હતાં. અમારી ચિંતા કર્યાં વગર તમારું ઘર સંભાળો.

આ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રદિપસિંહની વ્હારે આવી ગયા હતાં અને કોંગ્રેસના સભ્યોને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે, નીતિનભાઈ સાથે આખું મંત્રી મંડળ અને આખું ભાજપ છે. અલગ સંદર્ભમાં વાત જોડવી યોગ્ય નથી.

29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, એક બાજુ બધાં ને એકબાજુ હું એકલો, એ ઉમિયા માતાના આશીર્વાદ છે. આ લોહી બોલે છે, તમારા બધાંના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે, બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે. બીજા લોકોને ઘણાને નથીયે ગમતું, કે ભૂલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી.