ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અસામાજિક અને ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેમણે આગામી દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ગુજરાત મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’નો વટહુકમ લાવવા માટે પ્રસ્તાવ રજુ કરશે. આ પ્રસ્તાવની વિગતો આપતાં તેમણે આ ચેતવણી આપી છે.


આ વટહુકમમાં ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાવાની જોગવાઊ છે. આ ઉપરાંત ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે. ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. આ ઉપરાંત ગુંડા તત્વો સામે જુબાની આપનારા સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. આ કાયદ હેઠળ ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક છે.

રૂપાણીએ કહ્યું કે તેમની સરકાર આ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુકત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા સંપૂર્ણ પ્રતિબધ્ધ છે.