આ વટહુકમમાં ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાવાની જોગવાઊ છે. આ ઉપરાંત ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે. ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. આ ઉપરાંત ગુંડા તત્વો સામે જુબાની આપનારા સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. આ કાયદ હેઠળ ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક છે.
રૂપાણીએ કહ્યું કે તેમની સરકાર આ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુકત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા સંપૂર્ણ પ્રતિબધ્ધ છે.