C.R. પાટીલે અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાને કમલમ ખાતે મળવા કેમ બોલાવ્યા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Sep 2020 12:01 PM (IST)
ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, ભૂષણ ભટ્ટ, ધવલસિંહ ઝાલા સહિતના 30 જેટલા નેતાઓને મળવા બોલાવ્યા
ગાંધીનગરઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, ભૂષણ ભટ્ટ, ધવલસિંહ ઝાલા સહિતના 30 જેટલા નેતાઓને મળવા બોલાવ્યા છે. આ તમામ નેતા પૂર્વ ધારાસભ્યો છે અને પાટીલે તેમની સાથે તેમની હારનાં કારણોની ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. સી.આર.પાટીલે આગામી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ તમામ 182 બેઠકો જીતે એવો ટાર્ગેટ નક્કી કર્યો છે.. આ લક્ષ્યાંક સાથે પાટીલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે પહેલી વાર કમલમમાં વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને આમંત્રિત કરાયાં છે. મતદારોએ જેમને ઘેર બેસાડયાં છે તેવા ઉમેદવારો સાથે આજે પાટીલ બેઠક કરી હારનુ પોસ્ટમોર્ટમ કરશે. પાટીલ દ્વારા અલ્પેશ ઠાકોર,શંકર ચૌધરી , જગરૂપસિંહ રાજપૂત, રમણલાલ વોરા, ભૂષણ ભટ્ટ , આત્મારામ પરમાર સહિત 30 પૂર્વ ધારાસભ્યોને બોલાવાયા છે. ગુજરાત વિધાનસભાની છેલ્લે યોજાયેલી પેટાચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના પક્ષપલટુઓએ હારનો સામનો કરવો પડયો હતો. મતદારોએ જ ભાજપના ઉમેદવારોને હરાવ્યા હતાં કે,પછી પક્ષના ગદ્દારોના કારણે ભાજપે હારનો સામવો કરવો પડયો હતો એ અંગે ચર્ચા કરાશે.