ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટનું કદ સવા બે લાખ કરોડ જેટલું રહેવાની શક્યતા છે. ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા.


રાજ્ય સરકારની વેટની આવકમાં ગત વર્ષની સરખામણીએ 5 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે વેટની આવક 18,500 કરોડ હતી જ્યારે ચાલુ વર્ષે 17,607 કરોડની જ આવક થઇ છે. વિજય રૂપાણી સરકાર બજેટમાં કોઈ કરવેરા લાદવા નથી માંગતી પણ જીએસટીના અમલીકરણ બાદ રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે.

રાજ્ય સરકારે રાખેલા લક્ષ્યાંક સામે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 12 હજાર કરોડ જેટલી આવક ઓછી થઇ છે. સરકારે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 40,610 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે માત્ર 36,298 કરોડની આવક થઇ હતી. કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીનું મળવાપાત્ર વળતર 12,841 કરોડ હતું જેની સામે કેન્દ્રે માત્ર 8,529 કરોડ રૂપિયા જ આપ્યા છે.