ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 2 લાખ 8 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળસપાટી 132.59 મીટરે પહોંચતા સરદાર સરોવરના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ આ નજારો અદભુત લાગી રહ્યો છે.

ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતાં કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે આસપાસના ગામના લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની છે. સરદાર સરોવરના 11 દરવાજા ખોલાતાં કેવડિયાના 8 ગામોનો સંપર્ક પણ તુટી ગયો છે. હાલ ડેમમાંથી 2,38,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા બે કાંઠે વહી રહી છે, જ્યારે ગોરા બ્રિજ પાણીમાં ડૂબવાથી લોકોએ ગરૂડેશ્વર ફરી અને કેવડિયા આવવું પડશે. આ ઉપરાંત 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન પણ હાલ થઈ રહ્યું છે.