ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે ફરી 1300 કરતાં વધારે છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 95 હજારથી વધારે દર્દીઓએ કોરોનાના મ્હાર આપી સ્વસ્થ થયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1334 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કુલ 3230 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. જોકે સૌરાષ્ટ્રના જામનગરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી 100ની આસપાસ કેસો નોંધાઈ રહ્યાં છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. જી જી હોસ્પિટલમાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળી રહ્યું છે. બે દિવસમાં 17 દર્દીઓના મૃત્યુ નિપજતાં ભારે હાહાકાર મચી ગયો છે. જ્યારે છેલ્લા 15 દિવસથી કોરોનાના 100થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સોમવારે વધુ 120 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ સાથે 129 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા પણ આપવા આવી છે.

કોરોનાનું લોકલ સંક્રમણ વધી ગયું છે, શનિવારે 103 અને રવિવારે 99 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવારે 105 અને રવિવારે 109 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં 33 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ કુલ 247 દર્દી બે દિવસમાં સાજા થઈને બહાર નીકળ્યાં હતાં.

ડીએમસીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 61858ના સેમ્પલ ટેસ્ટ થયા છે અને 189 કેસ એક્ટીવ છે. જોકે ગઇકાલે દિવસ દરમ્યાન 99 પોઝીટીવ કેસ આવ્યા હતા અને 109 ડીસ્ચાર્જ કરાયા હતા, જ્યારે કોરોનાથી વધુ 2ના મોત થયા છે આમ અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કોરોનાથી મૃત્યુ આંક 19 દર્શાવવામાં આવ્યો છે.