ગાંધીનગર:  ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે. આ તરફ દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત મામલે 2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું ન હોવાનો SPનું નિવેદન સામે આવ્યું છે. 


પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી


ગાંધીનગરમાં શંકાસ્પદ મોતને લઈને SPનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું, ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો દાવો છે. પ્રતાપસિંહ નામના બુટલેગર પાસેથી મૃતકોએ દારુ લીધો હોવાનો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડની આશંકાએ મોતને લઈને પોલીસે 10 ટીમો બનાવીને ગામમાં તપાસ હાથ ધરી છે.  5 લોકોની અટકાયત કરવામાં આવી છે.  2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. ગાંધીનગર એસપીએ કહ્યું, પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી છે. આ સાથે જો સ્થાનિક PIની ભૂલ જણાશે તો પગલા લેવાશે. 


પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી


ગાંધીનગરના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા હતા. કાનજી ઉમેદસિંહ અને વિક્રમસિંહ રંગતસિંહનું મોત થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી.


હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર


એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં લિહોડા ગામના સરપંચ અજીતસિંહે કહ્યુ હતું કે બે લોકોના મોત થયા છે અને હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર છે. સરપંચે કબૂલાત કરી હતી કે મૃતકો દારૂ પીવાની લત ધરાવતા હતા પણ ગામમાં દારૂ મળતો નથી. ઉત્તરાયણના દિવસે જ નહીં નિયમિત પણે દારૂ પીવાના વ્યસની હતા. ગામમાં ઘટનાના પગલે બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કાનજી ઉમેદસિંહ ઝાલા અને વિક્રમ રંગતસિંહ નામના બે લોકોના મોત થયા છે. સરપંચે સ્વીકાર કર્યો હતો કે ગામમા કુલ 2400 થી 3000 ની વસ્તી છે.


લિહોડા ગામના મૃતક વિક્રમના ઘર પર એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 36 વર્ષીય વિક્રમસિંહની દારૂની લતના કારણે બે બાળકોએ પિતા ગુમાવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા. મૃતક વિક્રમસિંહના પિતા રંગતસિંહે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રને પીવાની આદત હતી પણ ક્યાંથી પીધું તે અંગે તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે અમે ખેતરે ગયા હતા અને સાંજે 5 કલાકે વિક્રમની તબિયત લથડી હતી. પરત આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ છે અને વિક્રમને બે પુત્રો છે.