ડાંગઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમ અને ATSની મળી મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા બે શાર્પ શૂટરોની ડાંગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બંન્ને શાર્પશૂટરોની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઇ શકે છે. નોંધનીય છે કે જયંતિ ભાનુશાળી હત્યા મામલે કોર્ટે મુખ્ય આરોપી છબિલ પટેલને ભાગેડુ જાહેર કર્યા છે. તાજેતરમાં જ છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તે કહી રહ્યા હતા કે હું નિર્દોષ છું અને હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. હાલમાં હું બિઝનેસ માટે વિદેશમાં છું અને ભારતમાં આવીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇશ અને તપાસમાં સહયોગ કરીશ.


નોંધનીય છે કે ભાનુશાળી હત્યા મામલે તેમના પરિવારજનોએ છબિલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે નીતિન પટેલ અને રાહુલ જયંતિ પટેલની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત પરદેશી ભાવુએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. જયંતિ ભાનુશાળીની હત્યા માટે છબિલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે શાર્પશૂટર્સ સાથે મુલાકાત કરાવી હતી.