પાલનપુરનાં રતનપુર નજીક બે લોડિંગ જીપ અને ટવેરા કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. કારમાં સવાર લોકો પાલનપુરથી મા અંબાનાં દર્શન કરવા અંબાજી જઈ રહ્યાં હતાં. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પાલનપુરનાં શક્તિનગર વિસ્તારમાં રહેતા સૈની પરિવારના સભ્યો રવિવારે સવારે અંબાજી દર્શન કરવા માટે ટાવેરા ગાડીમાં જઈ રહ્યા હતાં. તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પુર ઝડપે આવેલા લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી લોડિંગ જીપ ચાલકે ટાવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ધડાકાભેર ટક્કર મારી હતી.

આ ગોઝારા અકસ્માતમાં ટાવેરાનાં ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતનાં મૃતકોનાં નામમાં 73 વર્ષનાં દેવાનંદભાઈ મોતીલાલ સૈની, 60 વર્ષનાં ગોદાવરીબેન રાઠી, 8 વર્ષનો ભવ્ય અનિલકુમાર મહેશ્વરીનાં સામેલ થાય છે. આ અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.