પાલનપુરનાં શક્તિનગર વિસ્તારમાં રહેતા સૈની પરિવારના સભ્યો રવિવારે સવારે અંબાજી દર્શન કરવા માટે ટાવેરા ગાડીમાં જઈ રહ્યા હતાં. તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પુર ઝડપે આવેલા લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી લોડિંગ જીપ ચાલકે ટાવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ધડાકાભેર ટક્કર મારી હતી.
આ ગોઝારા અકસ્માતમાં ટાવેરાનાં ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતનાં મૃતકોનાં નામમાં 73 વર્ષનાં દેવાનંદભાઈ મોતીલાલ સૈની, 60 વર્ષનાં ગોદાવરીબેન રાઠી, 8 વર્ષનો ભવ્ય અનિલકુમાર મહેશ્વરીનાં સામેલ થાય છે. આ અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.