પાલનપુર: ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં ૧૬૦ મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.૨૮-૦૭-૨૦૨૩ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો ૫૯૯.૩૫ ફૂટ એટલે કે ડેમ ૮૬.૬૨ ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી ૬૦૪ ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૩૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. ડીસા તાલુકાના ૧૮ ગામો અને કાંકરેજના ૩ ગામોને હાઇએલર્ટ જાહેર કરાયા છે.


 



હાલ દાંતીવાડા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. તેની સાથે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસ, નાંદોત્રા બ્રાહ્મણ વાસ અને સિકરીયા, ડીસા તાલુકાના રાણપુર ઉગમણો વાસ, રાણપુર વચલો વાસ અને રાણપુર આથમણો વાસ, ભડથ, ચંદાજી ગોળીયા, મેડા, કોઠા, ચત્રાલા, વાસડા, લટીયા, ડાવસ, આખોલ, વડલી ફાર્મ, મહાદેવીયા, આખોલ નાની, આખોલ મોટી, માલગઢ, જુના ડીસા તથા કાંકરેજ તાલુકાના અરણીવાડા, બુકોલી, જમણાપાદર, ઉંબરી ગામને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગામના લોકોએ નદીના વહેણ વિસ્તારમાં અવર-જવર કરવી નહીં.  


બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.




તો બીજી તરફ માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી હોવાનું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કે તંત્રની અપીલને કિનારે કરી કેટલાક લોકો અહીં ન્હાવા પહોંચી ગયા છે. બનાસનદીના નીર કાંકરેજ પહોંચતાની સાથે લોકો ભાન ભૂલ્યા છે. જિલ્લા કલેકટરનો જાહેરનામાનો ભંગ થતા જોવા મળી રહ્યો છે. શિહોરી નજીક રેલવે બ્રિજ નીચે લોકોના ટોળેટોળા બનાસ નદીમાં ન્હાવા માટે પાણીના વહેણમાં જોવા મળ્યા છે. ફેમિલી સાથે લોકો ઊંડી ડીપમાં ન્હાતા જોવા મળ્યા છે. માઈનીંગ કારણે બનાસ નદીમાં ઉતરવું જીવનું જોખમ છે. લીઝ ધારકો દ્વારા ઊંડા ખાડા બનાસ નદીમાં પાડવામાં આવતા જાનનું જોખમ  થઈ શકે છે. બનાસ નદી બે કાંઠે વહી રહી છે ત્યારે પાણીના પ્રવાહમાં અનેક લોકો ડૂબકી લગાવતા જોવા મળ્યા છે.