દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સૈફી નગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો ઉચ્ચકક્ષાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં. પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.


દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સૈફી નગર વિસ્તાર સ્થિત બતુલ એપાર્ટમેન્ટમાં પતિ-પત્ની તેમજ ત્રણ બાળકોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. છૂટક વેપાર કરતા સૈફીભાઈ શબ્બીરભાઈ દૂધીયાવાલા ઉંમર 42 વર્ષ તેમની પત્ની મેજબીબેન દૂધીયાવાલા તેમની ત્રણ બાળકીઓ સાથે 7 વર્ષિય હુસેના, 16 વર્ષિય અરવા, 16 વર્ષિય ઝેનબ બતુલ એપાર્ટમેન્ટના 5માં માળે રહેતા હતા.

જોકે વહેલી સવારે જ્યારે સૈફીભાઈના પિતાએ તેમને ફોન કરતા સૈફી ભાઈએ ફોન ઉપાડ્યો નહોતો જેથી મૃતક સૈફીભાઈના પિતા આશરે સવારે 8 વાગ્યાના સુમારે તેમના ઘરે પહોંચ્યા હતાં જ્યાં દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો જેથી મૃતકના પિતાએ આજુબાજુ વાળાઓને જાણ કરતા દરવાજો તોડીને તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા.

જોકે ઘરમાં ત્રણ બાળકીઓ સહિત દંપત્તિ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે ત્રણ બાળકીઓ સહિત દંપત્તિએ કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હાલ અકબંધ છે પરંતુ મૃતકના પિતાના કહ્યા પ્રમાણે મરનાર સૈફીભાઈ તેની સાળી પાસેથી થોડા સમય પહેલા સોનુ લાવ્યો હતો અને તે બાબતને લઈને સમગ્ર પરિવાર કેટલાક સમયથી ટેન્શનમાં રહેતું હતું જેથી તે બાબતે પણ પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સમગ્ર પરિવાર રાત્રે જોડે જ જમ્યું હતું અને જમવામાં જ ઝેર નાખી ને જમ્યા હશે અને જમ્યા બાદ સમગ્ર પરિવાર ઊંઘી ગયો હોવો જોઈએ અને સવારે સમગ્ર પરિવાર મોતને ભેટી ગયો હતો. કારણકે તમામ ઘરના સભ્યો ઊંઘેલી હાલતમાં જ મૃત્યુ પામ્યા હોવાનું જણાઈ આવે છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.