Gujarat Rain Update: હાલમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. જો કે મધ્ય પ્રદેશમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે, હવે નર્મદાનું પૂર ગુજરાતને પણ ડુબાડે તેનો વધતો ખતરો વધતો જાય છે. ઇન્દિરા સાગરમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે આગામી 28 કલાકમાં સરદાર સરોવરમાં પાણીનો આ વિપુલ જથ્થો આવી પોહચશે. સામે અમાસની મોટી ભરતીને લઈ આ વખતે રેવાનું રોદ્ર સ્વરૂપ પાર કરી જાય તો નવાઈ નહિ.



  • નર્મદા સપાટી 135.75 ને પાર 

  • પાણી ની આવક 4.71.502

  • પાણી જાવક  5.62.439

  • 23 ગેટ  3 .5 મીટર   ખોલી પાણી નર્મદા નદી માં છોડાઈ રહ્યું છે  


આવી પરિસ્થિતિને કારમે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૩ મી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ૧૩૫.૭૮ મીટરે નોંધાયેલ છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજાને ૩.૦૫ મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે હાલમાં આશરે સરેરાશ ૫ (પાંચ) લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૫૯૯.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજે સવારે ૧૦.૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૫.૯૫ મીટરે નોંધાઇ હતી. 


આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો ૯૧ ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા ૩૪ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૩૪ દિવસમાં આશરે કુલ રૂા.૧૬૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.૨૨ મી ઓગષ્ટ,૨૦૨૨ ને સોમવારના રોજ નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની જાવક માટે ખુલ્લા રખાયેલા ૧૦ દરવાજાની સંખ્યામાં બપોરે ૧૨:૦૦ કલાકે વધારો કરીને ૧૫ દરવાજા ૨.૩૫ મીટરની ઉંચાઇ સુધીના ખોલીને સરેરાશ આશરે ૨.૨૫ લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) સામે ૨.૫૦ લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરવામાં આવી હતી. 


તદઉપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૨.૯૫ લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો. ગઇકાલે બપોરે ૧૨:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૬.૦૪ મીટરે નોંધાઇ હતી. ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક સતત વધવાને કારણોસર ગઇકાલે સાંજે ૦૫:૦૦ કલાકે પુન: ડેમના ૨૩ દરવાજા ૨.૧૫ મીટરની ઉંચાઇ સુધી ખોલીને નર્મદા ડેમમાં સરેરાશ અંદાજે ૩.૧૩ લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) ની સામે ૩.૫૦ લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરાયો હતો અને ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે ૩.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો. ગઇકાલે સાંજે ૦૫:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૯૮ મીટરે નોંધાઇ હતી.


આશરે છેલ્લા ૩૪ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા ૩૪ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત ૩૪ દિવસથી આશરે કુલ રૂા.૧૫૦ કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.