Narmada Breaking: નાંદોદના ધાનપોર ગામે સરપંચના પતિ સહિત 7 ઈસમોએ એક મહિલાને ઢોર માર મારતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં વાયરલ થયો છે. ગ્રામપંચાયતના પાણી મુદ્દે મહિલા અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. પંચાયતનું પાણી ગામના એક ઈસમ દ્વારા પોતાના ખેતરમાં વાળતા ઘર વપરાશ માટે પાણી ઓછું આવતા મહિલાએ ફરિયાદ કરી હતી. જે બાદ મહિલા સરપંચના પતિએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ખેતર મલિક સહિત 7 ઈસમોને સાથે રાખી પીડિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.


મહિલા સહિત તેના પતિને લાકડીના ડંડા અને ગળદાપાટુનો માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામના માથાભારે 7 ઇસમોને લાકડી વડે પત્નીને મારતા જોઈ પતિ ઘરમાં સંતાઈને વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો. બાદમાં વિફરેલા 7 ઈસમોએ પતિને વિડિયો ઉતરતા જોઈ બારણું તોડી ઇટો મારી ટીવી સહિત ઘર વખરી તોડી ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.


મહિલા સહિત પતિને ઢોર માર મારતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવાર દલિત સમાજનો હોવાથી પોલીસે તમામ આરોપીઓ સામે એટ્રોસીટીની કલમ હેઠળ અટકાયતની કામગીરી હાથ ધરી છે.


ભાજપ હિન્દુઓની આસ્થા સાથે રમત રમી રહી છે


યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વિવાદ વચ્ચે કોંગ્રેસ મેદાને આવી છે. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રસાદ મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો છે.  તેમણે કહ્યું કે, ભાજપ હિન્દૂ આસ્થા સાથે રમત રમી રહી છે. સત્તામાં બેઠેલા લોકો પ્રસાદ બદલવાની વાત કરે છે. જેમ અનેક કંપનીઓ અને એરપોર્ટ મિત્રોને આપ્યા તેમ ચીકીનો કોન્ટ્રાક્ટ મિત્રોને આપવા જઈ રહ્યા છે. મોહન થાળ માત્ર પ્રસાદ નથી લાગણી અને પરંપરા છે. જો ચીક્કીનો પ્રસાદ કરવામાં આવશે તો કોગેસ ઉગ્ર વિરોધ કરશે.


ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત પણ કરી છે. અંબાજી યાત્રાધામમાં પ્રસાદ તરીકે મોહનથાળ યથાવત રાખવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા કરણીસેના પણ લાલઘૂમ થઈ છે. કરણી સેનાના અગ્રણીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણી સેના જવાબદારી સ્વીકારવા તૈયાર છે. કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણી જે.પી. જાડેજાએ અપીલ કરી છે.


આ ઉપરાંત યાત્રાધામ અંબાજીની મોહનથાળની પ્રસાદીને લઈને પાટણના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યાત્રાધામ અંબાજીની મોહનથાળની પ્રસાદીને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું કે, સવિનય ઉપરોક્ત વિષયે જણાવવાનું કે સમાચારપત્રોના માધ્યમથી હિંદુઓના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ વિશે વાંચી સખેદ આ રજૂઆત કરી રહ્યો છું. અંબાજી માતાના મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ એ માત્ર એક વાનગી જ નથી જેને બીજી કોઇ વાનગીથી બદલી શકાય. મોહનથાળનો પ્રસાદ સાથે હવે માતાજીના ભક્તોની શ્રધ્ધા સંકળાઈ ગઈ છે. મારી આ વિનંતી ધ્યાને લઇ મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલું રાખવા અને માતાજીના ભક્તોની શ્રદ્ધા અકબંધ રાખવા આપના સ્તરેથી યોગ્ય પગલાં લેવા વિનંતી છે.