અમરેલી: હવે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે ત્યારે મંગળવારે સાંજે અમરેલીના રાજુલામાં આભ ફાટ્યું હોય તેવી રીતે ફક્ત 3 કલાકમાં જ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા અને તેની આસપાસના ગામમાં ભારે વરસાદને કારણ પાણી ભરાઈ ગયા હતાં.

સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર ગુજરાત પર થઈને આગળ વધી ગયું છે ત્યારે જતાં-જતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોણા આઠ ઈંચ સુધીને વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત સોમવારે રાત્રે હળવદના કડિયાણામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં 69 પશુ તણાતા મોત થયાં છે જ્યારે 21 પશુ લાપતા છે.

મંગળવારે સાંજે રાજુલા પર મેઘરાજા જાણે કહેર વરસાવવા રીતસર તુટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અહીં માત્ર ત્રણ કલાકના ગાળામાં જ જાણે આભ ફાટ્યું હોય તેમ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજુલાની ધારનાથ સોસાયટીમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરેલા છે. પાલિકા તંત્ર દ્વારા સોસાયટીમાં પાણી નિકાલ માટે મોટર મુકેલી છે છતાં હજુ સોસાયટીના પાણી ઓસર્યા નથી ને ધારનાથ સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘામાં મેઘરાજાએ પરચો દેખાડ્યો હતો અને ઝંઝાવતી પવન સાથે દોઢ કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘાના ગામડાઓમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે રાત્રે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સાબરકાંઠા વિસ્તારમાંથી પસાર થતાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં હિંમતનગરમાં 8, ઈડરમાં 5 ઇંચ અને પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે પવનથી અસંખ્ય વૃક્ષો પડી જવા સહિત પશુ મોત થયા હતા.

અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં સાડા સાત, ધનસુરા 3, મોડાસામાં 2.5 અને બાયડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આવેલા વાવઝોડાને લીધે 92 મકાનો અને 180 વીજપોલ ધરાશાયી થયાં હતાં.