અમદાવાદઃ રાજ્યમાં ત્રણ નોરતા બગાડ્યા બાદ હવે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે જે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ ફંટાયું છે. હજુ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. જોકે હવે વરસાદની તીવ્રતા ઘટવાને લીધે ખેડૂતો માટે પણ રાહત રહેશે. ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાને હાલમાં લીલા દુકાળની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે વરસાદ વિરામ લે તેવી આશાએ ખેડૂતો અને ખેલૈયાઓ બન્ને રાહતના શ્વાસ લઈ શકશે.


રાજ્યમાં તમામ જીલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  જો ટકાવારી પ્રમાણે જોઇએ તો જામનગરમાં 181.22%, મોરબીમાં 178.05%, ભરુચમાં 175.86 %, કચ્છમાં 173.77 %, છોટાઉદેપુરમાં 171.63%, દેવભુમી દ્વારકામાં 165.53%, સુરેન્દ્રનગરમાં 155.74%, જુનાગઢમાં 150.11% વરસાદ નોંધાયો છે. રાજ્યનાં તમામ તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકામાં 40 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ જીલ્લામાં સરેરાશ 140.16% વરસાદ નોંધાયો છે.

જો રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 97.86 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 98.20 ટકા, કચ્છનાં 20 ડેમમાં 76.87 ટકા તેમજ સૌરાષ્ટ્રનાં 139 જળાશયોમાં 90 ટકા આમ રાજયમાં કુલ 204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો હાલ છે.  ગત વર્ષે 30 સપ્ટેમ્બરની સ્થિતિ માત્ર 54.99 ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો. ત્યારે આ વખતે 92 ટકા પાણીનો જથ્થો છે.

પોરબંદર, ગીર સોમનાથ જૂનાગઢ, દ્રારકા, જામનગર, રાજકોટ, અમરેલીમાં ખેડૂતોને માંડવી રડાવી રહી છે તો વળી છોટા ઉદેપુર, ભરુચ, અરવલ્લિમાં પણ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે.

ચોમાસાના વળતા પ્રવાસ શરૂ થાય એ માટે એન્ટિસાઇક્લૉનની પરિસ્થિતિ નિર્માણ થવી જરૂરી છે. આ પરિસ્થિતિ 6 ઓક્ટોબર સુધીમાં નિર્માણ થાય એવી શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. જોકે, 7 ઓક્ટોબરે આવી પરિસ્થિતિ નિર્માણ થવાની શરૂઆત થઈ શકે છે.