અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ડેંગ્યૂનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગની નિષ્ફળતાના કારણે વડોદરા, જામનગર, રાજકોટમાં ડેંગ્યૂના કેસમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે.


છેલ્લા કેટલાક સમયથી શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે ત્યારે મનપા સંચાલિત શારદાબેન હોસ્પિટલમા છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના કારણે બે મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામનારા બંને દર્દીઓ બાળકીઓ છે. ગત 22 ઓક્ટોબરે જાનવી પટણી નામની સાડા પાંચ વર્ષીય બાળકીને ડેંન્ગ્યૂ પોઝિટિવ આવતા તેનું મોત થયું હતું. જયારે ગઈ કાલે રાત્રે એક વર્ષીય અલમીરા પઠાણનું પણ ડેંન્ગ્યૂના કારણે મોત થયું છે.

ચોમાસા બાદ અને શિયાળાની શરૂઆતમાં સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. મેલેરિયા અને ડેંગ્યૂના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યૂના 350 અને મેલેરિયાના 283 કેસ નોંધાયા છે. પાંડેસરમાં તાવના કારણે એક મહિલા દર્દીનું મોત થયું છે.