ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં કરૂણાંતિકા સર્જાઈ છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.


વેંટીલેટર, બેડ, ICU તમામ મેડિકલના સાધનો બળીને ખાખ થઈ ગયા. આગમાં દર્દીઓ જીવતા ભૂંજાય ગયા હતા. મોડી રાતે લાગેલી આગના સમાચાર મળતા આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ હોસ્પિટલના કાચ તોડીને 20થી વધુ દર્દીઓના જીવ બચાવ્યો હતો.


ભીષણ આગ લાગતા પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ અને જંબુસર અલ મહેમુદ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે.


હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.


ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.


બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા તો બીજી તરફ આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કમગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.


આ આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક આગનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલા લેવાશે


છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.