ગાંધીનગર: ગુજરાતમાં નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.


વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થી, જેઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે. અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, 182 વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા


અરવલ્લી: કેવલ જોશીયારા આજે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની હાજરીમાં હજારો કાર્યકરો સાથે કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. તમને જણાવી દઈએ કે કેવલ જોષીયારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અનિલ જોષીયારાના પુત્ર છે. આ પ્રસંગે કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ, સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કેવલ જોષીયારાના પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.


આ બે દિગ્ગજ નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે
અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ઘણા પ્રસંગે ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની તેમની સંભાવના વધુ છે. હવે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે.


મોદીની રાજકોટ યાત્રા સમયે નરેશ પટેલ મોટું એલાન કરશે? પટેલે બુધવારે રાખ્યો કયો કાર્યક્રમ?


રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકીય પ્રવેશનું રહસ્ય હવે ગમે ત્યારે ખુલી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહિ તે ચિત્ર નજીકમાં છે. રાજકોટ નજીક આટકોટ PM આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇ જાહેરાત કરે તેવી અટકળો તેજ થઈ છે. રાજકોટમાં આવતી કાલે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન યોજ્યું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે.