અરવલ્લી:  છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં મોટો વધારો આવ્યો છે. ઠગબાજો એનકેન પ્રકારે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. આવી છેતરપિંડીને લઈને અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતા ફ્રોડના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે અનેક લોકોએ લોભામણી સ્કીમ કે અન્ય કોઈ યોજનાથી પ્રેરાઈને લાખો રુપિયા ગુમાવ્યા છે. 




હવે આવી જ છેતરપિંડીની ઘટના સામે આવી છે અરવલ્લીમાં. જો કે, આ સ્કેમની ઘટના જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, મોડાસાના કઉ મોતીપુરાનો શખ્સ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. સાયબર ફ્રોડનો ભોગ બનનાર શખ્સ કઉ મોતીપુરા ગામના ફકીર મહંમદ વણઝારા છે. આ વ્યક્તિ સાથે ફેસબૂક પરથી બે ભેંસો ખરીદવા બાબતે 1.25 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે.


ફેસબુક પર પંજાબની બે ભેંસો ખરીદવાની વાત થઈ હતી. ઠગે વિશ્વાસમાં લઈ બે ભેંસોનો ભાવ એક લાખ નક્કી કર્યો હતો. આરોપીએ ભેંસોની પંજાબથી ડિલિવરી કરવા પ્રથમ ઓનલાઈન 10,000 રુપિયા માગ્યા હતા. ત્યાર બાજ ઠગબાજે ભોગ બનનાર પાસે વારંવાર વિવિધ યુક્તિઓ દ્વારા  રૂપિયાની માંગ કરી 1.25 લાખ પડાવ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનનારે એક લાખ કિંમતની ભેંસોના 1.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.  ભોગ બનનારે સમગ્ર ઘટનાની સાયબર ક્રાઇમ 1930 પર ફરિયાદ નોંધાવી છે.


હાટકેશ્વર બ્રિજ કેસમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપ્યો


અમદાવાદના પૂર્વ વિસ્તારના વિવાદીત હાટકેશ્વર બ્રિજ મામલે ખોખરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઇઝર સતીષ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે જ અત્યાર સુધી આ મામલે કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ઝડપાયેલ આરોપી સતીષ પટેલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.




સતીશ પટેલ બ્રિજનું સુપરવાઇઝિંગનું કામ કરતો. એટલે કે બ્રિજની શરૂઆતથી અંત સુધીમાં તેની ગુણવત્તા સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરવાની કામગીરી તેની હતી. આરોપી સતીષ પટેલ ઇસનપુર બ્રિજના બાંધકામ વખતે પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે કામ કરી ચૂક્યો છે. જોકે બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું સામે આવતા વિવાદ થયો હતો. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ મામલે જવાબદાર કંપની અધિકારી અને કર્મચારીઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.











નોંધનીય છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ બન્યાના ચાર જ વર્ષમાં ખખડી જતા તેને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદના  હાટકેશ્વર બ્રિજને તોડવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો.  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. બાદમાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો