અમદાવાદઃ કેંદ્ર સરકાર બાદ રાજ્ય સરકારે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં શિક્ષણ જગત, મનોરંજન, સામાજીક કાર્યક્રમો અંગે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ સિનેમા-મલ્ટીપ્લેક્સ અને થિયેટર્સને 50 ટકાની બેઠેક મર્યાદા સાથે શરૂ કરી શકાશે.


ફક્ત રમતવીરોને તાલીમ આપવા માટે સ્વિમિંગ પુલ ખોલી શકાશે. બિઝનેસ એક્ઝિબિશનને મંજુરી આપવામાં આવશે. જોકે તેના માટે વાણિજ્ય મંત્રાલયની શરતોને અનુસરવી પડશે. મનોરંજન પાર્ક અને તેના જેવા સ્થળોને ખોલવાની પણ મંજુરી આપવામાં આવશે. તમામ ધાર્મિક સ્થળો સાત જુન 2020ના દિવસે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ જ ખોલવામાં આવશે. જ્યારે ગુજરાતમાં હોટેલ્સ, રેસ્ટોરંટ રાત્રના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે અને ટેક અવેય માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.

શોપિંગ મોલ્સ આઠમી જુને જાહેર થયેલા નિયમો સાથે યથાવત રહેશે. લાઈબ્રેરી 60 ટકા લોકોની મર્યાદા સાથે ખોલી શકાશે. રાજ્યમાં બસ સેવા આધારીત સેવાઓ 75 ટકા લોકોની મર્યાદા સાથે દોડી શકશે. મેટ્રો રેલ સેવા કેંદ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે યથાવત રહેશે. રિક્શામાં એક ડ્રાઈવર સહિત બે લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.

કેબ સર્વિસમાં એક ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. જો છથી વધારે લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો ચાર લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. ટુ-વ્હિલરમાં બે લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.

કંટેઈમેંટ ઝોન બહાર સામાજીક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા અને સભાઓમાં 100થી વધુ વ્યક્તિઓની હાજરી અંગે જે તે રાજ્ય, કેંદ્ર શાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય ઓક્ટોબર સુધી યથાવત રહેશે. ત્યાર બાદની નવી ગાઈડલાઈન 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે. રાજ્યમાં શાળા કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ ફરીથી શરૂ કરવા માટે રાજ્ય સરકાર નિર્ણય લેશે.